લખાણ પર જાઓ

ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)

વિકિપીડિયામાંથી
શ્રી ખોડિયાર મંદિર, રાજપરા
શ્રી ખોડિયાર મંદિરનું એક દ્રશ્ય
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોભાવનગર
દેવી-દેવતાશ્રી ખોડિયાર માતાજી
સ્થાન
સ્થાનરાજપરા ગામ નજીક
રાજ્યગુજરાત
દેશભારત
ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત) is located in ગુજરાત
ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)
શ્રી ખોડિયાર મંદિરનું ગુજરાતમાં સ્થાન
સંચાલનશ્રી ખોડિયાર મંદિર સ્થાનક ટ્રસ્ટ
અક્ષાંશ-રેખાંશ21°43′21″N 71°59′42″E / 21.7223748°N 71.9948778°E / 21.7223748; 71.9948778
સ્થાપત્ય
નિર્માણકારભાવનગર રાજ કુટુંબ
આર્થિક સહાયભાવનગર રાજ કુટુંબ
પૂર્ણ તારીખ૧૩૫૪, ૧૯૪૯ ‍‍(જીર્ણોદ્ધાર)


ખોડિયાર મંદિર - રાજપરાભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલું ખોડિયાર માતાજી નું એક મંદિર છે. આ મંદિર ભાવનગર શહેરથી ૧૮ કિ.મી. તથા સિહોર શહેરથી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર છે. આ મંદિરની બાજુમાં આવેલું જળાશય તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. આ જળાશયને કારણે આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર તરીકે પણ જાણીતુ છે. ઉપરાંત બાજુમાં જ વસેલા રાજપરા ગામ પારથી આ મંદિર રાજપરાવાળા ખોડિયાર તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. લોકમાન્યાતા છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. પ્રચલીત માન્યતા અનુસાર ઊભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે. રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે.

પ્રવાસન માહિતિ

[ફેરફાર કરો]

ખોડિયાર મંદિર - રાજપરા એક ધાર્મિક સ્થળ હોવા ઉપરાંત એક હરવા-ફરવા ના કે ઉજાણીના સ્થળ તરીકે પણ જાણીતું હોવાથી અહીં આવવા માટે ભાવનગર શહેરમાંથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે. ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી ભાવનગર-રાજકોટ હાઈવે સુધીમાં અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.

અન્ય મહિતિ

[ફેરફાર કરો]

આ મંદિરથી થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

ફોટો ગેલેરી

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]